માનવી ગમે તેટલો હોંશિયાર થઇ જાય તો વિદ્વાન કે કલાકાર હોય પણ ખુશામત પાસે તો તે આખેઆખો નમી જાય છે. તેનામાં રહેલ અભિમાન જતુ નથી. અને તેથીજ તેની હાર થાય છે એટલેજ તો સંતો કવિઓ એ કહ્યું છે કે “ગરવ કિયો સોઇ નર હાર્યો“ , “અભિમાન તો રાજા રાવણ નું પણ રહ્યું નહોતું.“ આ કવિતાના કવિ શ્રી રમણલાલ ભટ્ટ છે. તેમની ‘નારદ વાણી’ ખુબ વખણાયેલી છે.
શિલ્પી
એક હતો શિલ્પી હુંશિયાર ઘરડો થતાં પડ્યો બિમાર,
મનમાં એને ચિંતા થઇ, જીવને જમડા જાશે લઇ.
માટે કરવો કાંઇ ઉપાય, જેથી મ્રુત્યુનો ડર જાય,
મનમાં ઝાઝો કરી વિચાર થયો ટાંકણું લઇ તૈયાર …….1
પોતાના જેવી દસ બાર સરજી મુર્તિ તેણી વાર
છાનો બેઠો વચ્ચે જઇ , ત્યાં તો ભારે ગમ્મત થઇ,
જીવને લેવાને આવ્યા જમ, પણ ના પડતી ગમ.
સાચો શિલ્પી શેં પકડાય? સઘળા જ્યાં સરખા દેખાય!……2
પાછા યમરાજની પાસ , પહોચ્યાં લઇને મુખ ઉદાસ,
કીધું “ ભગવાન , ભારે થઇ , શિલ્પી તો વરતાય નહીં”
યમરાજ કહે “ સુણો સહુ, ઉપાય સહેલો એનો બહુ,
વખાણશો જ્યાં એની કલા , ઝટ બોલી ઉઠશે એ બલા.”….3
દૂતો પાછા આવ્યા ફરી, બોલ્યા હસતું મહોડું કરી.
બ્રહ્માજીયે આવું કામ, કરવાની ના ભીડે હામ.
ધન્ય ધન્ય એનો ઘડ્નાર! ધન્ય ધન્ય એનો અવતાર!
જેણે સુંદર કીધું કામ, ઘટે આપવું ખુબ ઇનામ ….4
આપણને જો ભેળો થાય, આનો ઘડવાળો ક્યાંય
આવી સુંદર આરસ તણી ઘડાવીએ પ્રતિમા આપણી”
શિલ્પી સુણીને આ બોલ, હરખાયો થાતાં ઢમઢોલ.
બોલી ઉઠ્યો હર્ષની સાથ ” મૂર્તિ ઘડનાર આ હાથ. …..5
મોટું જો આપો ઇનામ કરું આથીય સુંદર કામ”
કરે હજી શિલ્પી જ્યાં વાત, યમદૂતે ઝટ ઝાલ્યો હાથ
” ભાઇસાહેબ ! છોડી ચાલ, સીધે સીધા ચાલો હાલ”
પક્કાઇ પકડાઇ ગઇ એકે હિકમત ચાલી નહીં. …..6
ફુલાતાં ફુલણજી થઇ બાજી સહું પલટાઇ ગઇ.
કાનપટ્ટી પકડી તે વાર લાવ્યા યમપુરી મોઝાર.
ઉતાવળિયા બહાવરા થાય, પૂરા પેટ ભરી પસ્તાય.
કરી વાતનો પહેલાં તોલ, પાછળથી કંઇ વદવા બોલ. ..7